2019 માં એક સંકલ્પ લઈને બેઠો હતો કે ગમે તે થાય પણ આ વર્ષે હિમાલય ની કોઈ ખીણ પ્રદેશ નાં વિસ્તાર માં રહેવું અને તે વિસ્તારનાં હોટેલ કે ગેસ્ટહાઉસમાંથી હિમાલયની પર્વતમાળા દેખાવી જોઈએ ! હા, થોડો વિચિત્ર સંકલ્પ ખરો પણ દરેક પ્રવાસી નો પ્રવાસ કરવાનો કઈક અલગ જ વિચાર હોય છે એમ મારો પણ આવો વિચાર હતો. આ વિચિત્ર સંકલ્પ પૂર્ણ થયો નવેમ્બર 2019 માં ! ઈન્ટરનેટ પર ઘણી શોધ સંશોધન પછી એક સ્થળ મળ્યું અને એ સ્થળનું નામ હતું કલ્પા નામનું એક નાનકડું હિમાલય ની ગોદ માં આવેલું રળિયામણું ગામ.
પછી શું ? કઈ રીતે પહોચવું એના પ્લાનિંગ થવા માંડ્યા અને બુકિંગ નો દોર શરૂ થયો. કલ્પા એ હિમાચલપ્રદેશનાં કિન્નૌર જિલ્લામાં આવેલું એક પર્વતીય નાનું ગામડું છે જે કિન્નૌર કૈલાશ (હિમાલય ની પર્વતમાળા) ની નજીક અને સતલુજ નદી પાસે આવેલું છે. 'ભાવતું હતું અને વૈદે કીધું' જેવી પરિસ્થિતિ !
અમદાવાદ થી દિલ્હી ની ફ્લાઈટ બુક કરી અને દિલ્હી થી હિમાચલપ્રદેશ ની સરકારી બસ જે સાંજે 8.10 કલાકે કશ્મીરી ગેટ બસ સ્ટેશન થી ઉપડે છે એમાં બેસી ગયો. જે પહોચાડે છે રેકોંગ પીઓ જે કિન્નૌર જીલ્લાનું મુખ્ય મથક છે. સૌથી કઠિન પ્રવાસ તો હવે શરૂ થવાનો હતો. દિલ્હી થી રેકોંગ પીઓ પહોંચતા આ બસ ને ઓછામાં ઓછા 18 કલાક લાગે છે. તેમાં વચ્ચે જીવ ને તાળવે લઇ આવે તેવા પર્વતીય રસ્તાઓ ! થોડી વારે પર્વતની ટોચે તો થોડી વારે સતલુજ નદી ની સાથે સાથે ! આ રોલરકોસ્ટર સવારીમાં મોશન સીકનેશ( આડાઅવળા રસ્તાઓ થી ઉલટી થવી કે જીવ મુંજાવો) ની તકલીફ વાળા તો ઉલટી કરી કરીને થાકી ગયા. મારી બાજુમાં બેઠેલા એક યાત્રી તો મરણચીસો પાડી રહ્યાં હતાં જાણે હમણાં જીવ નીકળી જશે. એને જોઈને બીજા યાત્રીઓ પણ ડરી ગયેલાં. છેલ્લી અડધી કલાક તો મને પણ થતું હતું કે હમણાં ઉલટી કરી જઈશ પણ આવું કઈ થયું નહી.
રસ્તાઓ જેમ રેકોંગ પીઓ નજીક અમારી બસ ને લઇ જતાં હતાં તેમ તેમ કિન્નૌર કૈલાશ પર્વતમાળા પોતાને પણ અમારી નજીક લાવી રહી હતી. બરફાચ્છાદિત પર્વતો દેખાય અને પાછા છુપાઈ જાય. પરંતુ જેવા રેકોંગ પીઓ માં પ્રવેશ કર્યો એટલે આ પર્વતોએ સંતાકૂકડી ની રમત બંધ કરી અને અમે સૌએ જોયી એ વિશાળ હિમાલયની પર્વતમાળા ને ! મારું મન લાગણીસભર હતું કારણકે હિમાલય ને પહેલી વખત જોયો અને એ દ્રશ્ય જેમાં કુદરતની સુંદરતા સંપૂર્ણ હતી.
રેકોંગ પીઓ નાં બસ સ્ટેશને પહોચ્યાં ત્યારે લગભગ સાંજ થઇ ચુકી હતી અને થોડું વાદળછાયું વાતાવરણ હતું. બસ સ્ટેશનમાં બેઠા બેઠા જ બરફાચ્છાદિત પર્વતોનું એટલું સુંદર દ્રશ્ય દેખાતું હતું કે ત્યાંથી ઉભા થવાનું મન નહોતું થતું. પણ મંજિલ હજી અડધી કલાક દુર હતી. કલ્પા ગામ પહોચવા મારે બસ સ્ટેશન થી બહારે નીકળી સામેજ પોસ્ટઓફીસ છે ત્યાં જઈને ખાનગી બસ પકડવાની હતી જે મને કલ્પા લઇ જવાની હતી. સરકારી બસો ચાલે છે પણ મોડું વહેલું થતું હોવાથી અને ખાનગી બસો ઘણી બધી મળતી હોવાથી આ એકજ રસ્તો હતો. બસ મળી અને પહોચ્યાં કલ્પા ગામે. પહોંચતા પહોચતાં રાત થઇ હતી. હું જ્યાં રોકાવાનો હતો(બુકિંગ કરેલ હતું) તે ફાર્મવિલ્લા હોમસ્ટે નાં માલિક સંજયકુમાર ને મારે ફોન કરી અને એક નિશ્ચિત જગ્યા પર બોલાવવાના હતાં. એ જગ્યા ચાલતાં ચાલતાં મારી નજર આકાશ તરફ પડી અને હું દિગ્મુઢ રહી ગયો કારણકે આવું ચોખ્ખું અને તારાઓ થી ખચાખચ ભરેલું આકાશ મેં મારા જીવન માં પહેલી વાર જોયું. અંતે સંજયકુમાર આવ્યાં અને પહોચ્યાં તેમના ઘરે. ફ્રેશ થઇ મારી ડીમાંડ નું શુદ્ધ શાકાહારી ભોજન લઈને સુઈ જ ગયો.
બીજે દિવસે સવારે 6 વાગ્યે આંખ ઉગડી ગઈ અને મારો રૂમ એવી જગ્યાએ હતો જેથી હું રૂમ માંથી જ હિમાલય જોઈ શકું( વિચિત્ર સંકલ્પ !) અને જોયું તો આંખ ને વિશ્વાસ નાં આવ્યો ! વાદળો નીચે ઉતરી આવ્યાં હતાં અને વાતાવરણ વાદળો થી ઘેરાયેલું હતું. વાદળાઓ જાણે સામે જ હોય એવું દ્રશ્ય ! મેં વેધર અપડેટ જોયું તો લખેલું હતું કે બરફ પડી શકે છે ! હું તો ખુશ થયો કે વાહ બરફ જોવા મળશે અને આગાહી સાચી ઠરી .
બરફવર્ષા શરૂ થઇ પણ અલગ રીતે. પ્રથમ ધીમે ધીમે વરસાદ શરૂ થયો અને અચાનક કલાક પછી એ વરસાદ બરફવર્ષા માં રૂપાંતરિત થઇ ગયો ! જીવનની પ્રથમ બરફવર્ષા ! કઈક અલગ જ અનુભવ હતો, આખો દિવસ બરફવર્ષા થઇ અને મેં એક જિજ્ઞાસુ બાળક ની જેમ મારાં રૂમ ની બારી માંથી આ વર્ષા નો આનંદ લીધો. જમતાં જમતાં પણ બારીઓ ખુલ્લી રાખી જેથી હું આ અનુભવ ને મારા મન નાં 'સુંદર અનુભવોના ઓરડા' માં સાચવી ને મૂકી શકું. એ આખો દિવસ બરફ વર્ષા માં જ પુરો થયો. હવે બીજો દિવસ કેવો હશે તે વિચારમાં ઊંઘ ઉડી ગઈ પણ મનને મનાવી ઊંઘવાનો પ્રયત્ન કર્યો જે સફળ થયો.
નારાયણ નાગીની મંદિર
મંદિર નાં દરવાજા થી જ તે કેટલું જુનું હશે તેનો ખ્યાલ આવી જાય છે. હિમાચલી શૈલીમાં બનેલું અને બેઠા ઘાટ નું આ સુંદર મંદિર તમારું મન મોહી લે તેવું છે. મંદિર માં નારાયણ ને નાગીની ની પથ્થર ની મૂર્તિઓ છે. મંદિર ની કોતરણી ધ્યાનાકર્ષક છે. કલ્પા માં ખાસ ધ્યાન રાખવા જેવું છે કે કે અહી મંદિરો આરતીના સમયે જ ખુલ્લા રહે છે.આ મંદિરની બાજુમાં મોટી ખાલી જગ્યા છે, જ્યાં બેસવા માટે બેઠકો છે, ત્યાંથી કિન્નૌર કીલાશ પર્વતમાળાનો નજરો ખુબ જ મનમોહિત કરી દે તેવો છે. અહી ઓછામાં ઓછા અડધી કલાક બેસીને શાંતિ અને કુદરતી સૌન્દર્યનો લાભ લેવા જેવો ખરો. હું જયારે ગયો ત્યારે અહી કોઈ જ ન હોવાથી હું તો સંપૂર્ણ રીતે આનંદિત થઈને કુદરતી સૌંદર્ય માં ખોવાઈ ગયો હતો. આવા સ્થળો એ એકાંત મળે તો તેની મજા જ અલગ હોય છે.
બૌધ્દ્ધ મઠ
રતન ભાડેર (રોસોવા લીન્સેન ઝાંગ્પો) એ બુદ્ધ ધર્મનાં મહાન પ્રચારક હતાં, જેમણે પોતાના જીવનમાં 108 ગોમ્પા(બૌધ્દ્ધ મઠો) ની સ્થાપના કરી હતી, જેમની એક ગોમ્પા કલ્પા માં છે. 1959 માં આગ લાગવાથી આ ગોમ્પા ને ખુબ જ નુકશાન થયું હતું, ત્યારબાદ કલ્પા નાં રહેવાસીઓ એ ફરીથી આ ગોમ્પને તૈયાર કર્યું. અહી બાજુ માં બાળબૌધ્દ્ધ સાધુઓ નો આશ્રમ છે. ગોમ્પા સમયનુસાર ખુલે છે અને પછી બંધ થઇ જાય છે. તો પ્રાર્થના નો જે સમય હોય તે પૂછી લેવો અથવા બાજુના આશ્રમ માંથી કોઈ સાધુ ને બોલાવશો તો એ મઠ ની મુલાકાત કરાવશે.
કલ્પા નો કિલ્લો ( ચંડી કા કિલ્લા)
આ પણ એક પૌરાણિક મંદિર અથવા કિલ્લો છે. અર્વું કહેવાય છે કે અહી દેવી માં ચંડિકા એ બાણાસુર નો વધ કર્યો હતો, ત્યાર પછી દેવી કોઠી ગામમાં જઈને વસી ગયા.(જે કલ્પા થી 4 કિમી તેમજ રેકિંગ પીઓ થી 1 કિમી દુર આવેલું નાનકડું ગામડું છે.) જ્યાં દેવીએ વચન આપ્યું કે જ્યાં સુધી જીવો પ્રકૃતિ નાં નિયમો નું પાલન કરશે ત્યાં સુધી તે તેમની રક્ષા કરતી રહેશે. અદભુત કથા છે ને ? અહી પણ મંદિર સમયાનુસાર ખુલે છે અને પછી બંધ થઇ જાય છે. જેથી પહેલેથી જ મંદિર નાં આરતી નાં સમયની જાણકારી લઇ લેવી.
કિન્નૌર જીલ્લાની પ્રથમ પ્રાથમિક શાળા
બૌદ્ધ મઠ ની બાજુમાં જ થોડું અંતર ચાલતા બે શાળાઓ એકજ પરિસર માં છે, એક પ્રાથમિક શાળા અને બીજી માધ્યમિક શાળા. પ્રાથમિક શાળાની સ્થાપના 1890 માં થઇ છે ! દુર્ભાગ્યે હું જયારે જોવા ગયો ત્યારે રવિવાર હતો નહીતર નાના વિધ્યાર્થીઓની સાથે વાતચીત કરી હોત અને માધ્યમિક શાળા જે સ્થળે છે ત્યાંથી તેની બારીઓમાંથી કિન્નૌર કૈલાશ પર્વતમાળાઓ દેખાતી હશે.આ શાળા નાં વિદ્યાર્થીઓની મને ઈર્ષા થઇ ગઈ કે તેઓ કેટલી સુંદર જગ્યા શિક્ષણ મેળવી રહ્યાં છે.
સફરજન નાં બગીચાઓ
કલ્પા માં ચારેબાજુ તમને સફરજનનાં બગીચાઓ જોવા મળશે. કીન્નૌરી સફરજનની મીઠાશ કંઇક અલગ જ છે. અહીના સફરજનને બચકું ભરતા જ મીઠો મધુર રસ તમારી જીભ ને અડતા જ સ્વર્ગના કોઈ અમૃત ફળ ખાધાની લાગણી જન્માવે છે ! અહીના લોકો નો મુખ્ય વ્યવસાય જ સફરજનની ખેતી છે. હું જે ગેસ્ટ હાઉસમાં રોકાયેલો હતો તેનાં પોતાનાં જ બગીચામાં 200 ની આજુબાજુ સફરજન નાં વ્રુક્ષો છે. સાથે સાથે અહી અખરોટ, જામફળ,જંગલી જરદાળુ, પ્લમ ની પણ અલગ અલગ જાતો જોવા મળે છે. હું નવેમ્બર માં ગયો હતો કે જયારે લગભગ સફરજનો ને ઉતરી લેવામાં આવ્યા હતાં. જો ઓગસ્ટ થી ઓક્ટોબર ની વચ્ચે આપ અહી આવો તો બગીચાઓ સફરજનોથી ભરેલા જોવા મળે છે.
કેટલીક યાદો ....
કેવી રીતે પહોંચવું: બસ અથવા પર્સનલ વાહન દ્વારા સિમલા અને દિલ્હી બંનેથી પહોંચી શકાય છે. જો તમે જાહેર પરિવહન દ્વારા દિલ્હીથી આવવા માંગતા હોવ તો તમારે રાત્રે 8 વાગ્યે હિમાચલ પ્રદેશની સરકારી બસ કશ્મીરી ગેટ બસ ટર્મિનલથી રેકોંગ પીઓ sસુધીમળી રહેશે, જે તમને 18 કલાકની લાંબી મુસાફરી પછી બીજા દિવસે સાંજે 4 વાગ્યાની આસપાસ રેકોંગ પિયો પહોચાડશે. તમે સિમલાથી પણ બસો મેળવી શકો છો.
ક્યારે જવું:
હિમવર્ષા અને શિયાળા માટે - ડિસેમ્બરથી માર્ચ
ચોખ્ખા આકાશ માટે - એપ્રિલથી મે
ચોમાસા માટે - જૂનથી ઓગસ્ટ
સફરજન માટે - ઓગસ્ટથી ઓક્ટોબર
ક્યાં રહેવું: ઘણી હોટલ અને ગેસ્ટહાઉસ ઉપલબ્ધ છે. તમે www.booking.com પરથી હોટલ અને ગેસ્ટહાઉસ બુક કરાવી શકો છો.