
હિમાચલ પ્રદેશના ખોળામા એવા કેટલાય અદ્ભુત, સુંદર અને અજાણ્યા સ્થળો આવેલા છે જ્યાં ફર્યા પછી ભારતીય પર્યટકો જન્નત અનુભવે છે. એટલે જ હિમાચલના આ સુંદર પહાડોમા રોજ હજારો દેશ-વિદેશથી પર્યટકો ફરવા આવે છે. આજે અમે એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ભરમૌર. ભરમૌર ફરવા માટેનું એક શ્રેષ્ઠ અને આકર્ષક સ્થળ છે. નાના-મોટા પહાડોમાંથી વહેતી નદી, આજુબાજુમા આવેલા ગાઢ જંગલો તથા ઊંચા-ઊંચા પહાડોની સાથે દેવદારના વૃક્ષો આ સ્થળની સુંદરતામાં સોનામા સુગંધ ભળ્યા જેવુ કામ કરે છે. ભરમૌર ચંબાથી 64 કિમીના અંતરે આવેલું છે. શાનદાર કુદરતી સૌંદર્ય ઉપરાંત આ ગામ ઘણા પ્રાચીન મંદિરો માટે પણ જાણીતું છે, જેમાંથી કેટલાક તો 10મી સદીના હોવાનું માનવામાં આવે છે.
ભરમૌરમાં જોવાલાયક સ્થળો
1. ચોરાસી મંદિર

એવું માનવામાં આવે છે કે યમરાજનું એકમાત્ર મંદિર ચંબાના ભરમૌરમાં સ્થિત શામ ચૌરાસીમાં છે. અહીં યમરાજનો દરબાર ભરાય છે. મૃત્યુ પછી આત્મા અહીં આવે છે અને નક્કી થાય છે કે તે સ્વર્ગમાં જશે કે નરકમાં. ચોરાસી મંદિર વિશે એવી માન્યતા છે કે યમરાજ અહીં વ્યક્તિના કર્મોનો હિસાબ આપે છે. આ મંદિર દેખાવમા ઘર જેવું લાગે છે અને અહીં નાના-મોટા મળીને કુલ 84 મંદિરો છે. એક રૂમમાં યમરાજ વિરાજમાન છે અને બીજા રુમમા ચિત્રગુપ્ત. લોકમાન્યતા અનુસાર મંદિરમા ચાર અદ્રશ્ય દરવાજા છે જે સોના, ચાંદી, તાંબા અને લોખંડથી બનેલા છે.
2. મણિમહેશ્વર મહાદેવ

કહેવાય છે કે ભગવાન શિવ તેમના 24 યોગી સાથીઓ સાથે ભરમૌરના આ સ્થળ પર આવ્યા હતા. તેમને આ સ્થળની શાંતિ અને સુંદરતાના પ્રેમમા પડી અહીં ઘર બનાવવા માંગતા હતા. તે સમયે ભરમાણી માતા કે જેમના નામ પરથી આ ગામનું નામ પડ્યું છે, તેઓ અહીં રહેતા હતા. જ્યારે ભગવાન શિવે ભરમાણી માતાને આ સ્થાન પર તેમના સાથીદારો સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમને આ સ્થળ આપી દેવાની વિનંતી કરી ત્યારે ભરમાણી માતા આવું કરવા માટે બાધ્ય થયા અને પોતે 6 કિમી દૂર સાહર નામના સ્થળ પર ચાલ્યા ગયા. મણિમહેશ્વર મંદિરની કોતરણી પ્રશંસાપાત્ર છે.
3. નરસિંહ મંદિર

નરસિંહ મંદિરમા ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન નરસિંહની ઉગ્ર મુદ્રા જોવા મળે છે. મૂર્તિ ગ્રેનાઈટની બનેલી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ મંદિરમાં જૂઠું બોલવું કે જૂઠી માનતાઓ માનવી એ દૈવી ક્રોધને આમંત્રણ આપવા જેવું છે.
4. હડસર વોટરફૉલ

ભરમૌરનો હડસર વોટરફોલ પણ એક જબરદસ્ત જગ્યા છે. વરસાદ હોય કે પછી સ્નૉ ફૉલ, આ ધોધ હંમેશા પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. સ્નૉ ફૉલ દરમિયાન પણ બરફ પીગળ્યા પછી ધોધમાંથી સતત પાણી પડતું રહે છે. તમે અહીં ટ્રેકિંગની પણ મજા માણી શકો છો.
5. કુગતી ગામ

ભરમૌરમાં આવેલું કુગતી ગામ પણ ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે. કહેવાય છે કે આ ગામમાં ઘણા એવા ઘર છે જે કેટલાય વર્ષો જૂના છે અને તો પણ આજે પણ સુરક્ષિત છે. આ ગામના ઘરો મોટાભાગે લાકડાના બનેલા છે. આ ગામને હિમાચલ પ્રદેશનું પ્રથમ ઓર્ગેનિક ગામ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે પણ કોઈ ઓર્ગેનિક ગામની મુલાકાત લેવા માંગતા હો તો તમારે કુગતી ગામની મુલાકાત લેવી જ જોઇએ.
6. ભરમૌર - કીલોંગ ટ્રેક

ભરમૌર કીલોંગ ટ્રેક એક ખૂબ જ ચેલેંજીંગ ટ્રેક છે જ્યાં ટ્રેકર્સ કાલિચો પાસ થઈને લાહૌલ ઘાટીમાં પ્રવેશ કરે છે જે 16152 ફૂટની ઊંચાઈએ છે. બધા ટ્રેકર્સ કાલિચો પાસ ચડતા પહેલા બન્ની દેવી મંદિર માથુ ટેકવા જાય છે. સ્થાનિક માન્યતા અનુસાર, બન્ની દેવી સ્થાનિક લોકો અને હાઈ પાસ તરફ જતા લોકોની રક્ષક છે. ટ્રેકિંગ ટ્રેલ ભદ્રા, બંસર, એલિયાસ અને ત્રિલોકીનાથમાંથી પસાર થાય છે અને ત્યા પહોંચવામા લગભગ સાત દિવસ - છ રાત જેટલો સમય લાગે છે.
ભરમૌર કેવી રીતે પહોંચવું?
ભરમૌરનું સૌથી નજીકનું એરપોર્ટ કાંગડા એરપોર્ટ છે જે 180 કિમીના અંતરે આવેલું છે. નજીકના રેલ્વે સ્ટેશનો પઠાણકોટ રેલ્વે સ્ટેશન અને ચક્કી બેંક રેલ્વે સ્ટેશન છે, બંને ભરમૌરથી 180 કિલોમીટરના અંતરે સ્થિત છે. પરંતુ ભરમૌર આજુબાજુના શહેરો સાથે નિયમિત જાહેર બસો દ્વારા સારી રીતે જોડાયેલું છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

























