અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ

Tripoto
Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

અમદાવાદીઓ વીકેન્ડમાં બહાર ફરવા અચુક જાય છે. પરંતુ દર રવિવારે ક્યાં જવું..કોઇ રેસ્ટોરન્ટમાં કે પછી કોઇ રિસોર્ટમાં, મોલમાં કે મુવી જોવા. હવે તમને થાય કે વીકેન્ડમાં કોઇ નવી જગ્યાએ જઇએ તો અમે તમારા માટે લાવ્યા છીએ એક એવું તીર્થ સ્થળ જ્યાં મળશે મનને અપાર શાંતિ. ખાસ કરીને જૈનો માટે તો આ એક આધ્યાત્મિક જગ્યા છે. અમે વાત કરી રહ્યાં છીએ મણિલક્ષ્મી તીર્થની.

44 એકરમાં ફેલાયેલું છે આ તીર્થ સ્થાન

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

મણીલક્ષ્મી તીર્થ આશરે ૪૪ એકરમાં પથરાયેલું છે. શાસ્ત્રીય ધારાધોરણને ધ્યાનમાં રાખીને મણીલક્ષ્મી સંકુલને મણિલક્ષ્મી તીર્થ’ તરીકે નામકરણ કરેલું છે. મણીલક્ષ્મી તીર્થના સંકુલમાં આ જિનાલય આશરે ૩૧૦૦૦ ચો.ફૂ. વિસ્તારમાં પથરાયેલું છે. જિનાલયની આસપાસ ચારે તરફ આશરે હજારો ચો.ફૂ.ની વિશાળ જગ્યામાં એક રમણીય ઉદ્યાન છે. શિલ્પશાસ્ત્ર અનુસારે આ જિનાલય ‘સભ્રમ પ્રાસાદ’ કહેવાય છે. ‘સભ્રમ’ એટલે ‘ભમતીયુક્ત જિનાલય’ સામાન્યતઃ દરેક દેરાસરોની પ્રદક્ષિણા દેરાસરની બહાર નીકળીને આજુબાજુ ફરવાની હોય છે, જયારે સભ્રમ પ્રાસાદમાં ગર્ભગૃહ (ગભારા) નો આજુબાજુનો વિસ્તાર દેરાસરમાંજ સમાયેલો હોય છે, માટે પ્રદક્ષિણા દેરાસરની અંદરના ભાગમાં જ ફરવાની હોય છે.

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

આ બાંધણી દેરાસરને આપમેળે વિશાળતા અર્પે છે. આ પ્રદક્ષિણાયુક્ત ગર્ભગૃહ આશરે સવા હજાર ચોરસફૂટમાં વિસ્તરેલું છે. આ જિનાલય નીચે અને ઉપર એમ બે માળનું છે. જિનાલયમાં જેટલી વિશાળતા ભોંયતળીયાના મંડપમાં છે તેટલીજ વિશાળતા ઉપર પણ રાખવામાં આવી છે. આ ભવ્ય જિનાલયમાં ગૂઢમંડપમાં અને રંગમંડપ બન્નેનું અલગ અલગ નિર્માણ કરેલ છે.

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

દેરાસરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ નૃત્યમંડપમાં પ્રવેશે છે. જે આશરે ૫૦૦૦ ચોરસ ફૂટનો છે. જયારે આગળ જતા તે ૩૫૦૦ ચોરસ ફૂટ વિશાળ અને ૬૩ ફૂટ ઊંચા ધુમ્મટવાળા ‘ગૂઢમંડપ’ માં પ્રવેશે છે. જ્યાં ઉપરની કોતરણી જોનારને આશ્ચર્યમાં મૂકી દે છે. અને સામેજ ૨૫૦ ચોરસ ફૂટના વિશાળ ગર્ભગૃહમાં રાજરાજેશ્વર શ્રી મુનિસુવ્રતસ્વામી બાદશાહી ઠાઠથી શોભી રહ્યા છે. જેની ઉપર એટલા જ વિશાળ ગૂઢમંડપ અને ગર્ભગૃહવાળુ બીજુ જીનમંદિર છે જેમાં શ્રી નામીનાથ પ્રભુ ભક્તોને આહ્વાન કરી રહ્યા છે.

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

મુખ્ય જીનાલયની ડાબી અને જમણી બાજુએ બે દેવકુલિકાઓને રચના કરી છે તેવી જ રીતે ઉપર પણ ડાબી અને જમણી બાજુએ દેવકુલિકાઓ છે. આ જીનનાલય ત્રણ શિખરોથી યુક્ત છે. જેમાં મુખ્ય શિખર કુલ ૮૫ કળશોથી વીંટળાયેલું છે. આ જીનાલય ઝીણી નકશીવાળા, જુદી – જુદી અંગભંગીઓથી શોભતી નૃત્યાંગનાઓવાળા ૨૦૦ થી વધુ થાંભલાઓનું અદ્વિતીય સોંદર્ય ધરાવે છે. આ જીનાલય બહારની તરફ આશરે ૭૨ ઝરુખોથી ભવ્યાત્માને પોતાની તરફ આકર્ષી રહ્યું છે.

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

આ જીનાલયનું શિખર ૧૩૪.૧ ફૂટની ઊંચાઈવાળુ છે. અને ધજાદંડ તો તેથી પણ ૩૩.૧૧ ફૂટ ઊંચો આવશે. આ ઉત્તુંગ શિખર આજુબાજુના પાંચ કિ. મી. દુરથી પણ દેખાય છે. આવી તો બીજી અનેક વિશેષતાઓ જીનાલયમાં સમાયેલી છે.

કેવી છે વ્યવસ્થા

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

આ તીર્થસ્થળનું બાંધકામ વર્ષ 2009થી શરૂ કરવામાં આવ્યું હતું. 2017માં તે બનીને તૈયાર થઇ ગયું. 24 ફેબ્રુઆરી 2017માં તેની પ્રાણપ્રતિષ્ઠા યોજાઇ હતી ત્યારથી તે દર્શનાર્થીઓ માટે ખુલ્લું છે. બાળકો માટે અહીં ગાર્ડન છે. એક મિનિટ્રેન છે જે તમને સમગ્ર સંકુલના દર્શન કરાવે છે. ટ્રેન મંદિર ફરતે પ્રદક્ષિણા કરે છે. એક લેક પણ બનાવેલું છે જ્યાં તમે એન્જોય કરી શકો છો. મણિલક્ષ્મી જૈન દેરાસરમાં ભોજનશાળા આવેલી છે. જ્યાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજના ભોજન જેને ચોવિહાર કહેવામાં આવે છે તેનો ફિક્સ રેટ 90 રૂપિયા છે. બપોરના ભોજનનો એટલે કે નવકારનો સમય 12 થી 1.30 વાગ્યા સુધીનો છે. જ્યારે ચોવિહાર સાંજે 5 થી સૂર્યાસ્તના 20 મિનિટ પહેલા સુધી હોય છે. અહીં રહેવા માટે વિશાળ ધર્મશાળા પણ આવેલી છે.

ક્યાં આવેલી છે આ જગ્યા

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં માણેજ ગામમાં આ ભવ્ય જૈન મંદિર આવેલું છે. બોરસદ-તારાપુર હાઇવે પર ધર્મજથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલી છે આ જગ્યા. આ સ્થળ અમદાવાદથી 76 કિલોમીટર દૂર આવેલી છે. વડોદરાથી આશરે 65 કિલોમીટર જ્યારે આણંદથી લગભગ 43 કિલોમીટર દૂર આવેલું છે આ તીર્થ સ્થળ.

અન્ય જૈન સ્થળો

મહુડી

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

ગાંધીનગરની લગભગ પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય જૈન મંદિર આવેલું છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોનાં ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયાં ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે, અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાનાં મંદિરોનો મહિમા મોટો છે. જૈન તેમજ જૈનેતર સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓના દિવસે આકર્ષે છે.

Photo of અમદાવાદની નજીક આવેલું છે મણિલક્ષ્મી તીર્થ, રજાઓમાં એકવાર જરૂર જાઓ by Paurav Joshi

મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાં જ ખાવી પડે છે તેને મંદિરની બહાર લઈ જઈ શકાતી નથી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો