5 દિવસમાં સૌરાષ્ટ્રના બધા જ મહત્વના યાત્રાધામોનો પ્રવાસ

Tripoto

કાઠિયાવાડમાં કોક’દિ ભૂલો પડ ભગવાન...

અરે અરે! ભૂલા પડવાની ક્યાં વાત કરો છો? કદાચ તમે આ જગ્યાએ હજુ સુધી ભૂલા નહિ પડ્યા હોવ પણ ભગવાન તો કાઠિયાવાડમાં કેટલીય જગ્યાએ સદીઓથી વસેલા જ છે. સ્વતંત્રતા સમયે જ્યારે દેશી રજવાડાઓનું વિલીનીકરણ થયું ત્યારે કુલ 547 રજવાડાઓ પૈકી 100 થી પણ વધુ રજવાડાઓ એક જ પ્રદેશમાં આવેલા હતા જે ભૂમિને આજે સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વાત કદાચ સૌ જાણતા જ હશે. સાથોસાથ એ પણ જાણતા હશો કે આ એક એવી ભૂમિ છે જ્યાં ઈશ્વરના અનેક સ્વરૂપના ઘણા પ્રસિધ્ધ મંદિરો આવેલા છે.

અલબત્ત, અમુક તીર્થસ્થળોએ તમે ગયા હશો પણ બધા જ તીર્થસ્થળો એક જ પ્રવાસમાં સમાવી શકાય તેનાથી સારું બીજું કશું જ ન હોઇ શકે. ગુજરાતમાં સૌથી મધ્યમાં આવેલું અને સૌથી વધુ ધમધમતું નગર એટલે અમદાવાદ. તો ચાલો આપણે આજે માત્ર 5 દિવસમાં અમદાવાદથી સોરઠના બધા જ તીર્થસ્થળોનો પ્રવાસ કેવી રીતે કરવો તેનું આયોજન કરીએ.

દિવસ 1

અમદાવાદથી દરરોજ સોમનાથ માટે બસ તેમજ ટ્રેન્સ ઉપલબ્ધ છે. વળી, સોમનાથ મંદિરની નજીકમાં જ રહેવાની પણ પુષ્કળ સુવિધાઓ પ્રાપ્ય છે. તો અમદાવાદથી રાત્રે નીકળીને સવારે સોમનાથ પહોંચી શકાય છે. સવારે ફ્રેશ થઈને બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરો.

ભગવાન શ્રી કૃષ્ણે જે સ્થળે દેહ ત્યાગ કર્યો એ ભાલકા તીર્થ પણ વેરાવળમાં જ આવેલું છે તેની પણ મુલાકાત લઈ શકાય છે. સાંજે સોમનાથ મંદિરનો લાઇટ એન્ડ સાઉન્ડ શો તો ખરો જ! આમ પ્રવાસની શરૂઆત જ એક એવા મંદિરથી જેની મુલાકાત લેવા દેશ-વિદેશથી લોકો આવે છે.

દિવસ 2

સોમનાથથી દ્વારકા. સોમનાથથી જ કેટલીય ખાનગી ટેક્સી કે પછી GSRTCની બસો ઉપલબ્ધ છે જે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જાય છે. સોમનાથથી દ્વારકાનું અંતર 240 કિમી છે જે કાપતા 4.5 થી 5 કલાક થાય છે. દ્વારકામાં પણ ઘણી સારી હોટેલ્સ આવેલી છે.

અહીં એક દિવસમાં જ દ્વારકા મંદિર તેમજ નજીકમાં નાગેશ્વર મહાદેવ એમ બે મહત્વના મંદિરોના દર્શનનો લાભ લઈ શકાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાથી માત્ર 17 કિમી દૂર આવેલું છે.

દિવસ 3

દ્વારકા ગયા હોવ તો શ્રી કૃષ્ણ ભગવાનની સોનાની નગરી જોવી જ જોઈએ ને. આ સ્થળને બેટ-દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે જે દ્વારકાથી 35 કિમીના અંતરે આવેલું છે. બેટ દ્વારકા જવા બોટમાં બેસીને જવું પડે છે તેથી સવારે 7-8 વાગે નીકળી જવું હિતાવહ છે. બેટ-દ્વારકામાં આવેલા ધાર્મિક સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ તેમના બાળસખા સુદામાને મળ્યા હોવાનું માનવામાં આવે છે.

ત્યાર બાદ દ્વારકાથી 250 કિમી દૂર રાજકોટ જઈને ત્યાં રાત્રિ રોકાણ કરો. સાંજના સમયે રાજકોટ પહોંચી જાઓ તો શહેરની લટાર મારવા પણ જરુર જજો કેમકે સૌરાષ્ટ્રનું સૌથી વધુ વિકસિત શહેર રાજકોટ છે.

દિવસ 4

રાજકોટથી ગોંડલનું સ્વામિનારાયણ મંદિર તેમજ વિરપુર જલારામ મંદિર અનુક્રમે 40 તેમજ 60 કિમી દૂર આવેલા છે. રાજકોટથી સવારે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને બપોરે જલારામ મંદિર દર્શન તેમજ ખૂબ જ પવિત્ર એવી પ્રસાદીનો લાભ લ્યો. ગોંડલથી વિરપુર વચ્ચે ફક્ત 20 કિમીનું અંતર છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિર એક ભવ્ય તેમજ જોવાલાયક મંદિર છે.

જલારામ મંદિર સંત જલારામને સમર્પિત છે. 1 પણ રૂપિયાનું દાન ‘ન લેવા માટે’ આ મંદિર અન્ય તમામ મંદિર કરતાં જુદું છે. બંને મંદિરોની મુલાકાત બાદ પ્રવાસના અંતિમ મુકામ ભાવનગર પહોંચો.

દિવસ 5

ભાવનગરથી 18 કિમી દૂર દરિયાની 1 કિમી અંદર એક શિવ મંદિર આવેલું છે જે ખરેખર જોવાલાયક મંદિર છે. આ મંદિરનું નામ નિષ્કલંક મહાદેવ છે અને તેનું પૌરાણિક મહત્વ પણ ઘણું જ છે. નિષ્કલંક દર્શન કરીને થોડી વાર દરિયે બેસો અને પછી નજીકની રેસ્ટોરાંમાં પરંપરાગત કાઠિયાવાડી ભાણું જમીને પહોંચી જાઓ રાજપરા ખોડિયાર મંદિર. ભાવનગરથી લોકો રાત્રે ચાલતા નીકળીને સવારે આ મંદિરે દર્શન કરવા આવે છે એવી અનેરી માતાજીની મહિમા છે.

અહીં દર્શન કરીને, રસ્તામાં ચટપટો નાસ્તો કરીને 4-5 કલાકમાં અમદાવાદ પાછા ફરો.

આ પ્રવાસ માત્ર ધાર્મિક સ્થળોને જ કવર કરે છે પણ આ પ્રવાસ સહેજ પણ કંટાળાજનક સાબિત નહિ થાય તે ખાતરીપૂર્વક કહી શકાય છે. બધા જ મંદિરોનું પૌરાણિક મહત્વ, તેનો ઇતિહાસ, આજની સ્થિતિ, તેનું બાંધકામ અને એ બધાય કરતાં વધુ મહત્વનું- લોકોની આસ્થા જોવાનો એક અનેરો લ્હાવો મળે છે.

આ જ રૂટને રિવર્સ પણ ટ્રાય કરી શકાય છે કેમકે અમદાવાદથી ભાવનગર જવા તેમજ સોમનાથથી અમદાવાદ પાછા જવા પણ પૂરતા વિકલ્પો મળી રહે છે. જો એક-દોઢ દિવસનો વધુ સમય હોય તો સોમનાથથી અડધો દિવસ દીવ પણ જઈ શકાય છે. દીવનું ગંગેશ્વર મહાદેવ મંદિર એક વિશેષ જોવાલાયક શિવ મંદિર છે. અથવા તો એશિયાના સૌથી લાંબા રોપવેમાં બેસીને ગરવા ગિરનાર પર ભગવાન દત્તાત્રેય માટે પણ એક દિવસ ફાળવી શકાય છે. વળી, સોમનાથ, દ્વારકા, દીવ તેમજ ભાવનગરમાં દરિયાકિનારો હોવાથી જો બાળકો સાથે હશે તો તેમને પણ બહુ જ મજા આવશે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ