અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ

Tripoto
Photo of અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ 1/8 by Paurav Joshi

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે વિકેન્ડમાં કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી હોય તો અમદાવાદથી માત્ર 95 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં ભગવાન સ્વામિનારાયણનું એક અદ્ધભૂત મંદિર છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે વર્ણીન્દ્રધામ.. મીની પોઇચા તરીકે ઓળખાતું આ નીલકંઠ ધામ 15 એકરમાં ફેલાયેલું છે.

ક્યાં છે નીલકંઠ ધામ

Photo of અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ 2/8 by Paurav Joshi

મીની પોઇચા તરીકે ઓળખાતું આ વર્ણીન્દ્ર ધામ અમદાવાદથી લગભગ 95 અને સુરેન્દ્રનગરથી 60 કિમીના અંતરે આવેલું છે. આ વર્ણીન્દ્ર ધામ 20 સંતો અને 450 જેટલા કારિગરોની સખત મહેનતથી બનીને તૈયાર થયું છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે આટલું ભવ્ય મંદિર બનાવવામાં કોઇ એન્જિનિયર કે આર્કિટેક્ટની સેવા લેવામાં નથી આવી. પરંતુ માત્ર 10 ધોરણ ભણેલા સૂરત ગુરૂકૂળના ધર્મવલ્લભદાસ સ્વામીએ એક કાગળ પર પેનથી ડિઝાઇન કરી અને તેના આધારે આખુ મંદિર બનાવવામાં આવ્યું.

વર્ણીન્દ્ર ધામના આકર્ષણો

Photo of અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ 3/8 by Paurav Joshi

વર્ણીન્દ્ર ધામના મુખ્ય ખંડમાં સ્વામીનારાયણ ભગવાન બિરાજમાન છે. મુખ્ય મંદિરની બાજુમાં રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, સીતારામ, નરનારાયણ દેવની મૂર્તિ છે. મુખ્ય મંદિરના ફરતે 80 લાખ લીટરનું નીલકંઠ સરોવર છે જેના ફરતે હિન્દુ ધર્મના કહેવાતા 24 અવતારોના કળશ મંદિરો છે. આ 24 અવતારોની આગળ એક-એક શાલીગ્રામ ભગવાન બિરાજમાન છે. જે-તે અવતારના ભક્તો આ શાલીગ્રામ ભગવાનને અભિષેક કરતા હોય અને આ અભિષેકનું પાણી સરોવરમા આવે છે. સરોવર ઓવરફ્લો થાય એટલે 108 ગૌમુખ ધારા રૂપે આ પાણી મંદિરની ફરતે પડે છે. જેમાં સ્નાન કરતાં કરતાં પ્રદક્ષિણા કરવાની હોય છે.

Photo of અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ 4/8 by Paurav Joshi

મંદિરની જમણી તરફ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું મંદિર છે. જેમાં ભગવાન પારણામાં ઝુલે છે. ડાબી તરફ હનુમાનજીનું મંદિર છે. આ ઉપરાંત, વર્ણીન્દ્ર ધામમાં 3 ખંડોમાં વહેંચાયેલુ પ્રદર્શન છે. મંદિરની નીચે ટનલમાં 24 અવતારોનું પ્રદર્શ છે. જેમાં એક્વેરિયમ છે. મુખ્ય મંદિર એટલે કે કમળ મંદિરની નીચે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતાં પ્રસંગોની મૂર્તિઓ અને મૂવીંગ શો છે. ત્રીજા ખંડમાં પ્રદર્શનોમાં લાઇટ અને સાઉન્ડ શો આવેલા છે. ઉપરાંત, સાયન્સના પ્રયોગોનું પ્રદર્શન છે. 3.50 લાખ લાઇટથી બનેલો એલઇડી શો છે. પિતા કા બલિદાન મૂવી છે મંદિરના પાછળ એન્જલ પાર્ક છે, જયાં રાઇડ્સ, સ્વિમિંગ પુલ, નૌકા વિહાર છે.

Photo of અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ 5/8 by Paurav Joshi

વર્ણીન્દ્ર ધામમાં દરરોજ સવારે 5.30થી 6.30 એક કલાક 108 લીટર ગાયના દૂધ, 108 ઔષધીઓ, વિવિધ પ્રકારના ફળોના રસ, જુદા જુદા તિર્થભૂમીમાંથી લાવવામાં આવેલી માટીથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. દરરોજ થાળમા 108 જેટલી વાનગીઓ હોય છે. દરરોજ સાંજે 6 વાગે ઘોડા, ગાય વગેરે સાથે ભગવાનની નગરયાત્રા નીકળે છે. જેમાં ભગવાન રથ પર બિરાજમાન હોય છે. સાંજે મહાનિરાજન આરતી થાય છે. મંદિરની પ્રતિષ્ઠા થઇ ત્યારથી અહીં અખંડધૂન ચાલી રહી છે.

રાજકોટ ગુરૂકૂળ દ્ધારા સંચાલિત

Photo of અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ 6/8 by Paurav Joshi

વર્ણીન્દ્ર ધામ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ રાજકોટ દ્ધારા સંચાલિત છે. 1948માં રાજકોટ ગુરૂકૂળની સ્થાપના માત્ર 7 વિદ્યાર્થીઓ અને એક ભાડાના મકાનથી થઇ. આજે આ ગુરૂકૂળની દેશ-વિદેશમાં કુલ 36 શાખાઓ છે. જેમાં ગુજરાતમાં 16, અન્ય રાજ્યોમાં 10, વિદેશમાં 9 શાખાઓ છે. કુલ 23,000 વિદ્યાર્થીઓ આ ગુરૂકૂળમાં હિન્દુ સંસ્કૃતિ અનુસાર શિક્ષણ મેળવી રહ્યા છે. સુરત ગુરૂકૂળમાં કુલ 7500 વિદ્યાર્થીઓ અને 275 સંતો છે. અને મુખ્ય ગુરૂ પદે દેવકૃષ્ણદાસજી સ્વામી બિરાજમાન છે. વર્ણીન્દ્ર ધામ અગાઉ સૂરત ગુરૂકૂળના ધર્મવલ્લભદાસ સ્વામીએ નર્મદા કાંઠે પોઇચા નીલકંઠ ધામ બનાવ્યું હતું. જેની આજ સુધીમાં 2.25 કરોડ જેટલા લોકોએ મુલાકાત લીધી છે

ધર્મવલ્લભદાસ સ્વામીને આવ્યો વિચાર

Photo of અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ 7/8 by Paurav Joshi

સૂરત ગુરૂકૂળના ધર્મવલ્લભદાસ સ્વામીને આ મંદિર બનાવવાનો વિચાર આવ્યો. પોઇચામાં નર્મદા કિનારે મંદિર બાંધ્યુ હોવાથી રણમાં આવેલા વ્યક્તિને ભગવાનના દર્શનનો લાભ મળે તે હેતુથી પાટડી નજીક આ મંદિર બનાવ્યું છે. આ મંદિર ગોલ્ડન, લોટસ અને વોટર ટેમ્પલનો સુભગ સમન્વય છે.

જમવાની વ્યવસ્થા

મંદિરની ભોજનશાળામાં જમવાની વ્યવસ્થા છે. ખાવાનું અહીં સસ્તું છે. અહીં માત્ર 60 રૂપિયામાં ગુજરાતી થાળી મળે છે જેમાં બપોરે બે શાક, રોટલી, દાળભાત અને છાશ હોય છે જ્યારે સાંજે એક શાક, રોટલી, કઢી-ખીચડી અને છાશ હોય છે. જો તમારે માત્ર ખીચડી-કઢી ખાવી હોય તો 20 રુપિયા થશે અને કઢી-ખીચડી-છાસ જોઇતી હોય તો 30 રુપિયા થશે. આ ઉપરાંત, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ (સમોસા, પીઝા, ભેળ વગેરે), ચા-નાસ્તો, દાબેલી, પાણીપુરી, ઇડલી, ઢોસા, પાઉંભાજી અને પુલાવ પણ મળે છે.

વર્ણીન્દ્ર તરણકુંડ (સ્વિમિંગ પુલ)

સ્વિમિંગ પુલનો સમય સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. ટિકિટનો દર રૂ.100 (12 વર્ષથી ઉપરના વ્યક્તિ) અને બાળકો માટે રૂ.50 (5 થી 12 વર્ષના) છે.

સાંસ્કૃતિક પ્રદર્શન

Photo of અમદાવાદની નજીક મીની પોઇચા તરીકે ઓળખાતુ ભવ્ય વર્ણીન્દ્રધામ, અહીં ઇશ્વરની દિવ્યતાની થશે અનુભૂતિ 8/8 by Paurav Joshi

સાંસ્કૃતિક પ્રદર્શનનો સમય બપોરે 1 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. પ્રદર્શનનો વ્યક્તિ દિઠ ટિકિટ દર રૂ.150 (પુખ્તવયના માટે) અને બાળકો માટે રૂ.120 છે. 50થી વધુનું ગ્રુપ હોય તો વ્યક્તિ દિઠ ટિકિટ દર રૂ.100 છે. પ્રદર્શનીમાં તમને સમુદ્ર મંથન, દ્રૌપદી વસ્ત્રાહરણ, ભીષ્મ પિતામહની બાણશૈયા, શ્રવણની માતા-પિતાની સેવા, ભગવાન સ્વામનારાયણના જીવનપ્રસંગો સહિત અનેક કથાઓનું વર્ણન સ્ટેચ્યુના માધ્યમથી જોવા મળશે. આ ઉપરાંત અહીં શીશ મહેલ, નાના-મોટા દેખાતા અરિસા, કલા, એક્વેરિયમ, સાહસિકતા દર્શન, સાયન્સ સિટી, મિનિ ટ્રેન, હોરર ટનલ, લક્ષ્મણ ઝુલા અને બાળકોના રમવા માટે એન્જોય પાર્ક પણ છે.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

More By This Author

Further Reads