
"સ્વર્ણ રેખા" નો અર્થ છે "સોનાની રેખા". ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ત્રણ રાજ્યોમાંથી વહેતી આ નદીમા એવુ તે વળી શું વિશેષ હોઈ શકે? તમને એમ થતુ હશે કે આ નામ કોઈ પ્રાચીન દંતકથા કે કિસ્સા સાથે જોડાયેલું છે, પરંતુ એવું બિલકુલ નથી. સત્ય એ છે કે નદીના નીચેના પાણીમાં ખરેખર શુદ્ધ સોનું છે. અરે, ટ્રસ્ટ મી, આ કોઈ એવી ઘટના નથી જે છેલ્લા 2-3 વર્ષમાં બની હોય. આ નદીના તળિયે હંમેશાથી સોનું હતું જ. તાજેતરમાં અખબારોમાં હેડલાઇન્સ બન્યા પછી મોટાભાગના લોકોને હવે છેક આ નદી વિશે ખબર પડી રહી છે.

આ નદી સોનાનો ખજાનો છે
આ અસામાન્ય ઘટનાનું રહસ્ય હજુ સુધી સમજાયું નથી. નદીમાં આટલી મોટી માત્રામાં સોનું જોવું એ ખરેખર એક અદ્ભુત બાબત છે. આ નદીમાંથી એક મહિનામાં લગભગ 60 થી 80 સોનાના કણો કાઢવામાં આવે છે. વૈજ્ઞાનિકો પણ આ સોનાનો સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ વિચિત્ર ઘટના પાછળનું રહસ્ય ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે.
સ્વર્ણ રેખા નદીનો ઇતિહાસ
આ નદી મુખ્યત્વે ઝારખંડ રાજ્યના રત્નાગર્ભ પ્રદેશમાંથી પસાર થાય છે. મુખ્ય નદી અને તેની સહાયક કરકરી નદી, એમ બંને નદીઓમાં વર્ષોથી સોનાના કણો જોવા મળે છે.
આ 474 કિલોમીટર લાંબી નદી ઝારખંડમાં રાંચી પાસેના નાગડી ગામમાં રાની ચુઆનથી શરૂ થાય છે. બંગાળની ખાડીમાં જોડાતા પહેલા આ નદી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાંથી પણ પસાર થાય છે. એવું માનવામાં આવે છે કે આ નદીના સ્ત્રોતની નજીક રાંચીના પિસ્કા ગામમાં પહેલી વાર સોનાનુ ઉત્ખનન કરવામાં આવ્યુ હતુ. પછીથી નદીના પટ અને રેતીમાંથી પણ સોનાના કણો મળવા લાગ્યા.
ઉત્ખનન આખા વર્ષ દરમિયાન થાય છે

આસપાસના વિસ્તારના સ્થાનિક આદિવાસીઓ રેતી ચાળી નદીના પટમાંથી સોનું કાઢવાના કામમાં રોકાયેલા રહે છે. નદીમાંથી સોનું કાઢવાની પ્રક્રિયા ચોમાસા સિવાય આખું વર્ષ ચાલુ રહે છે. નદી અને રેતીમાં મળી આવતા સોનાના કણોનું કદ ચોખાના દાણા જેટલું હોય છે.
તામર અને સારંડા પ્રદેશોમાં પેઢીઓથી આ કાર્ય ચાલી રહ્યું છે. વિવિધ સ્વદેશી સમુદાયોના લોકો રેતી ચાળવામાં અને સોનાના નિષ્કર્ષણના કામમા હોય છે. ઘરના લગભગ દરેક સભ્ય આ કામમાં લાગેલા હોય છે. નદીમાંથી સોનું કાઢવાનું આ કામ બિલકુલ સરળ નથી હો. આ કામ કરવામા થાક લાગે છે અને ઘણીવાર તો કામ પૂર્ણ કરવામાં ઘણા દિવસો લાગી જાય છે.
આખા દિવસ દરમિયાન નદીના પટમાંથી સોનાના કણોને બહાર કાઢવું એ કંટાળાજનક હોય છે અને તેના માટે ધીરજથી કામ લેવુ પડે છે. આ વિસ્તારના સ્થાનિક લોકોની મહામહેનતના કારણે નદીના પટમાંથી સોનાના કણો કાઢીને ફિલ્ટર કરવામાં આવે છે અને પછી તેને પોલિશિંગ કરવા અને તેની જ્વેલરી બનાવવા સોનીને આપી દેવામા આવે છે.

શું તમે જાણો છો?
ભારતના મહાન નવલકથાકારોમાંના એક, રવીન્દ્રનાથ ટાગોર અને વિભૂતિભૂષણ બંદોપાધ્યાયે તેમની કેટલીક નવલકથાઓ અને કવિતાઓમાં સુવર્ણરેખા નદીનો ઉલ્લેખ કર્યો છે. જાણીતા બંગાળી ફિલ્મ નિર્દેશક ઋત્વિક ઘટકે સ્વર્ણ રેખા નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું જે બંગાળના વિભાજન પર કેન્દ્રિત હતી.