દસમી સદીમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓના દમનથી બચવા અને પોતાનો જીવ અને ધર્મ બચાવી રાખવા પર્શિયા (હાલનુ ઈરાન) દેશના ઝોરાષ્ટ્ર ધર્મનાં લોકોએ પોતાનું વતન છોડી દીધું. દરિયાઈ માર્ગે સુરત નજીકના એક ગામમાં આવ્યા અને મહારાજ જડી રાણાને તેમના રાજ્યમાં આશરો મેળવવા વિનંતી કરી. આપણે સૌ આગળની વાત જાણીએ જ છીએ કે એ સમુદાય અહીં દૂધમાં સાકર ભળે તેમ ભલી ગયો. પર્શિયાથી આવેલા અને ફારસી ભાષા બોલતા ઝોરાષ્ટ્ર ધર્મનાં લોકોને ભારતમાં ‘પારસી’ તરીકે નવજીવન મળ્યું.

દસ-અગિયાર સદી પહેલા પારસી સમુદાયને ભારતએ આશ્રય આપ્યો તેના બદલામાં આ નાનકડા સમુદાયે દેશને પુષ્કળ યોગદાન આપ્યું છે તે વાત આપણે સૌ જાણીએ છીએ. પણ શું તમે આ સમુદાયના ધર્મસ્થાનો વિષે જાણો છો?
અગ્નિની આરાધના કરતાં પારસી ધર્મના ધાર્મિક સ્થળોએ અમુક અપવાદોને બાદ કરતાં બિન-પારસીઓ પ્રવેશ મેળવી શકતા નથી.

પોતાનું વતન છોડીને ગુજરાત આવેલા આ સમુદાયના બધા જ મહત્વના ધર્મસ્થાનો દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં આવેલા છે.
આતશ બહેરામ (Fire of Victory):
પારસીઓના અગ્નિને પૂજે છે અને આજીવન અખંડ-અનંત અગ્નિ પ્રજ્વલિત હોય તે સ્થળ આતશ બહેરામ કહેવાય છે જેને તેઓ ખૂબ જ પવિત્ર માને છે. દરેક અગ્નિનું મંદિર (અગિયારી) એ આતશ બહેરામ નથી, કારણકે આતશ બહેરામ ખાતે 16 અલગ અલગ પ્રકારના સ્વરૂપમાં અગ્નિ લાવીને, અનેક દસ્તૂર (પારસી પૂજારીઓ)ની હાજરીમાં તેનું શુદ્ધિકરણ કરીને, તેને ભેગી કરીને બનાવવામાં આવે છે.
આ 16 પ્રકારની અગ્નિમાં શું શું સમાવિષ્ટ છે તે અહીં વાંચો.
પર્શિયા છોડતી વખતે આ પવિત્ર અગ્નિ પણ તેઓ સાથે લાવ્યા હતા. જે જે જગ્યાએ આ પવિત્ર અગ્નિ લાંબો સમય સુધી રાખવામાં આવી હોય તે આપોઆપ જ પારસીઓ માટે ખૂબ જ મહત્વના યાત્રાધામ બની જાય છે. વિશ્વમાં કુલ 9 જગ્યાએ પારસીઓના આ સૌથી પવિત્ર ધર્મસ્થળો આવેલા છે. તે પૈકીના આઠ- ચાર મુંબઈમાં, એક સુરતમાં, એક નવસારીમાં અને એક ઉદવાડામાં આવેલા છે. એક આતશ બહેરામ તેમના મૂળ વતન પર્શિયા (આજના ઈરાન)માં યઝદ ગામમાં છે.

સંજાણ સ્તંભ:
વીસમી સદીમાં જ નિર્માણ પામેલો આ સ્તંભ ગુજરાતમાં પારસીઓના આગમનના બહુમાનમાં બનાવવામાં આવ્યો છે. સુરત નજીકના સંજાણ બંદર પર પહેલવહેલો પગ મૂકીને પરસીઓનું ભારતમાં આગમન થયું તેને બિરદાવવા માટે વડોદરા ગ્રેનાઇટમાંથી 50 ફીટ ઊંચાઈનો એક ટાવર બનાવવામાં આવ્યો જે સંજાણ સ્તંભ કહેવાય છે. અલબત્ત, પારસીઓ માટે આ કોઈ ધાર્મિક સ્થળથી કમ નથી.


.