Explore with me...The Royal Kingdom of #Bhutan Part 3

Tripoto
Photo of Explore with me...The Royal Kingdom of #Bhutan Part 3 1/1 by Hetal Chauhan Gohil

ઓસમ...

ભૂતાનની રાજધાની થિમ્ફુની એક વિશાળ પહાડી પર સ્થિત 169 ફૂટ ઊંચી બુદ્ધની એ બેજોડ પ્રતિમા જોઈને તમારા મોઢામાંથી અનાયાસ જ આ શબ્દો સરી પડે અને તમારા હોઠો પર ક્યારેય ન આવ્યું હોય તેવું સ્મિત છવાઈ જાય. 100 મિલિયન ડોલરના ખર્ચે નિર્માણ પામેલી ગૌતમ બુદ્ધ(શાક્યમુનિ બુદ્ધ)ની સૌથી ઊંચી પ્રતિમાઓમાંથી આ એક છે. સૌમ્ય અને જીવંત. તાંબાથી નિર્મિત અને સોનાના ઢોળથી ચમકતી આ પ્રતિમા પર જ્યારે સુરજના કિરણો પડે છે ત્યારે ચારે દિશાઓ ચમકી ઊઠે છે સાથે આ નક્કર ઐશ્વર્યની આગોશમાં રાજધાની થિમ્ફુની સુંદરતા વધારે નિખરી ઊઠે છે.

એક મોટા ચોગાનમાં અંદાજે 60 મીટરની ઊંચાઈ પર એક વિશાળ કમળ પર બુદ્ધ બિરાજમાન છે, પ્રકાશિત અને પ્રબુદ્ધ. તેમની ઓરા ગજબની છે. વિસ્મયપૂર્વક આ બધું જોતા અમે પ્રતિમાની નીચે બનેલા ધ્યાનખંડમાં પહોંચ્યા તો ચકિત રહી ગયા. બુધ્ધની એક લાખ પચ્ચીસ હજાર ચમકદાર પ્રતિમાઓ ધ્યાનખંડની દિવાલોમાં બનાવાયેલા ગોલ્ડન રેક્સમાં બિરાજમાન હતી. જૈ પૈકી એક લાખ પ્રતિમાઓ આઠ ઈંચની અને 25,000 પ્રતિમાઓ 12 ઈંચની છે. તમામ કાંસાથી બનેલી અને ગોલ્ડથી પોલિશ્ડ કરાયેલી છે. કહેવાય છે કે તેને મંત્રો અને રત્નોથી ભરવામાં આવે છે. તમે ઈચ્છો તો તમે પણ ઓર્ડર આપી અહીં એક પ્રતિમા મુકી શકો, થિમ્ફુની આબાદી કરતા વધુ પ્રતિમાઓ અહીં સ્થાપિત છે. આ ધ્યાનખંડની મધ્યમાં પણ શાક્યમુનિ બુદ્ધ સોને મઢયા સિંહાસન પર ધ્યાનમુદ્રામાં લીન છે, પ્રતિમાની સામે હારબંધ ગોઠવેલા ચાંદીના વિશાળ પાત્રોમાં શુધ્ધ પાણી ભરીને મુકવામાં આવ્યું હતું. તેની બંને કિનાર પર પોઝિટીવ ઉર્જાના ઉફાન સમા સ્ફટિક સ્તંભ ઊભા હતા. બાકીનું બધું જ જાણે સોને મઢ્યું. સ્વર્ગની પરિકલ્પના સમાન. મેં આગળ કહ્યું તેમ હકીકતમાં આ એક ચકચકિત, વિશાળ અને પવિત્ર ધ્યાનકક્ષ છે.

ઘણાં પ્રવાસીઓ અહીં બેસીને મેડિટેશન કરતાં હતા. ઘણાં તો એકદમ લીન હતા. ધ્યાનની આ મુદ્રા ઘણાં ઓછા લોકો માટે સંભવ હોય છે. કેટલાક ધ્યાનસ્ત સ્થાનિક પ્રવાસીઓને જોઈને મેં પણ આંખો બંધ કરીને મેડિટેશનનો અનુભવ લેવાનો પ્રયાસ કર્યો. એકદમ શાંતિ લાગી પણ એ થાકના લીધે હતી. ઓફકોર્સ, એ રિયલ મેડિટેશન નહોતું જ. મારું મન તો કુતુહલથી વશ હતું. ધ્યાનકક્ષમાં એક બૌદ્ધ સાધુ સાથે મેં માંડેલી ગોષ્ટિના આધારે મને ઘણું જાણવા મળ્યું ...એ વાતો ખૂબ ભારેખમ અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં કરાયેલી હતી છતાં હું તેને સરળ અને ઓછા શબ્દોમાં સમજાવવા પ્રયત્ન કરીશ. જે ખરેખર આ ધ્યાનસ્ત મુદ્રાનો અનુભવ કરવા માંગતા હોય તેમના માટે અવશ્ય લાભદાયી છે.

મેડિટેશનના પ્રથમ ચરણમાં તમારે ટ્રીપલ જેમ ઓફ બુધ્ધિઝમને અનુસરવાનું રહે છે. ( ટ્રીપલ જેમ મીન્સ...The Buddha, The Dharma & The Sangha) નમોઃ ગુરુય, નમોઃ બુદ્ધાયઃ, નમોઃ ધર્માય અને નમોઃ સંઘાય. (હું ગરુની, બુધ્ધની અને સંઘની શરણ લઉં છું) આ કલ્પના સાથે

ઉપરોક્ત મંત્રનું ઉચ્ચારણ તમે સાત વખત કરી શકો છો, 21 વખત કે 108 વખત. જે તમારી મરજી પર છે. બીજા ચરણ ક્ષમા યાચનાનું છે. મન, વાણી, શરીરના માધ્યમથી પાછળના જીવનકાળ અને વર્તમાનમાં કોઈને પણ દુઃખ પહોંચાડ્યું હોય તો તે માટે કરાયેલી ક્ષમાયાચનાથી તમારામાં રહેલી નકારત્મકતા દુર થતી જશે. ત્રીજા ચરણમાં તમે તમારી જાત અને ત્રીપલ જેમ સાથે એવું પ્રોમિસ કરો છો કે તમે ક્યારેય કોઈ ખોટું કામ નહિં કરો. તમારા કર્મો પ્રત્યે સચેત રહેશો અને ઈમાનદારીથી વર્તશો.

બૌદ્ધ સંતના કહેવા મુજબ આ મેડિટેશન દરમ્યાન સ્વ પ્રત્યે જાગૃત થયા બાદ તમારા મસ્તિકની ઉપર તમે કમળના ફૂલનો આભાસ કરી શકો છો. જેની ડાળીઓ એક ફૂટ લાંબી છે. કમળના આસન પર ચમકદાર સૂર્યચક્ર અને ઉજજવલ ચંદ્રચક્રની આભા રચાશે. આ આભા કમળમાં બેઠેલા બુદ્ધના રૂપમાં હશે અને તેની સાથે ‘ઓમ મણી પદ્મે હુઁ’... OM MANI PADME HUM ના મંત્રજાપ તમને અસીમ બુદ્ધથી જોડે છે. તિબેટીઅન બૌદ્ધો કાગળની એક ચબરખીમાં તેમનો આ રાષ્ટ્રીય મહામંત્ર લખી રાખે છે અને મંત્રજાપના પહિયા ( મંત્ર-ચક્ર) પર તેમના હાથ ફરતા રહે છે.( આ મંત્રને સૂર્ય પ્રકાશ કરતા પણ વધુ શકિતશાળી મનાય છે. તેના વિશેની વધુ માહિતી તમે ગુગલ પરથી મેળવી શકશો)

શાક્યમુનિ બુદ્ધએ કહ્યું છે કે જે કોઈ આ મંત્રનો પાઠ કરે છે તે ગંગા નદીના અવિરત પ્રવાહ સમાન ગુણોનો લગાતાર પોતાનામાં સંચંય કરે છે. તેનું મન સોના જેવું બની જાય છે. એકદમ શુધ્ધ.

આ વાતો પવિત્ર હતી પણ સાથે વજનદાર પણ. મારું મન તો મંદિરના વિશાળ પ્રાંગણમાંથી દેખાતી થિમ્ફુની પહાડીઓ પર જઈને અટક્યું હતું. . હા, પણ આ ધ્યાનકક્ષની દિવાલો અને છત પર લખાયેલા મંત્રો અને બુદ્ધના જીવનકવનના 12 પાસાઓને ચરિત્રાર્થ કરતા ભીંતચિત્રો અહીંના સોનેરી વાતાવરણમાં જાન રેડતા હતા.

એની વે, થિમ્ફુમાં 20 મીટર ઊંચા સિંહાસન પર બિરાજમાન ગૌતમ બુદ્ધની આ પ્રતિમાને કોઈ શાક્યમુનિ બુદ્ધ કહે છે તો કોઈ ડોરડેન્મા.. ઈ.સ.પૂર્વે 563માં રાજકુમાર સિધ્ધાર્થનો જન્મ શાક્યવંશના એક કુલિન પરિવારમાં થયો હતો. હિમાલયની તળેતીમાં આવેલા લુમ્બિની નામના એક સુંદર સ્થાન પર કે જે હાલનું નેપાળ( સાઉથ) છે. આ સ્થાન શાક્ય સામ્રાજયની રાજધાની કપિલવસ્તુથી બહુ દુર નહોતું. તેથી પાછળથી તેઓ શાક્યમુનિ બુદ્ધ પણ કહેવાયા. રાજા શુદ્ધોધન અને માતા મહાદેવીના ઘરે જન્મેલા રાજકુમાર સિધ્ધાર્થમાંથી તેઓ કેવી રીતે ગૌતમ બુદ્ધ બન્યા તેનાથી આપણે સૌ પરિચિત જ છીએ. તો આવો ધ્યાનકક્ષની બહારની દુનિયામાં.

...અને અમે પેલા વિસ્મયકારી ધ્યાનકક્ષના પ્રભાવ હેઠળ જ ધીમેધીમે પ્રાંગણમાં આવ્યા....ખુલ્લા પ્રાંગણમાં બનાવાયેલી અપ્સરાઓની પ્રતિમાઓ તો જાણે સોનાની જ હોય તેવું લાગતું હતું તેના પર એટલું બારીકાઈથી કામ થયું છે કે જાણે આકાશમાં ઉડવા તૈયાર ન હોય!!! આ ઊંચાઈ પરથી દેખાતા વાદળો અને તેમાંથી બનતા જુદાજુદા આકારો, પહાડો પર વારેવારે છવાઈ જતું ધુમ્મસ, ક્યારેક ફૂંકાઈ આવતો ઝંઝાવતી પવન, ઘાટીઓ, રસ્તાના વળાંકો, મકાનોની બાંધણી... બધું જ કમાલનું હતું. પ્રવાસીઓ આ બધું જ જાણે પોતાના કેમેરામાં કેદ કરી લેવા માંગતા હોય તેટલી ઉત્સુકતાથી ચારેકોર ફોટોગ્રાફી કરી રહ્યાં હતા. અમે પણ મેડિટેશનના ટ્રાયની સાથે સાથે ખૂબ ફોટોગ્રાફી કરી.

અહીં આવો તો ધ્યાનમાં રાખવા જેવી એક બાબત હું તમને ખાસ કહેવા માંગુ છું. બુદ્ધની પ્રતિમાની સામેના મુખ્ય પ્રવેશદ્વાર પરથી આવવાનું ટાળજો. તમારું વાહન પ્રતિમા સ્થાનની પાછળના ભાગમાં બનેલા અન્ય પ્રવેશદ્વાર સુધી જઈ શકે છે જે પહાડની ટોચ પર છે. જો તમે આગળથી આવશો તો તમારે અસંખ્ય પગથિયાનું સીધું ચડાણ ચડીને પ્રતિમાના પ્રાંગણમાં આવવું પડશે અને ટોચ પર પહોંચશો ત્યારે હાંફી ગયા હશો. જ્યારે પાછળનું પ્રવેશદ્વાર સીધું તમને પ્રતિમા સ્થાન સુધી પહોંચાડી દેશે. ગૌતમ બુદ્ધના આ પ્રભાવશાળી સ્થાનના મહિમાને અને થિમ્ફુના ગજબ સૌંદર્યને જહેનમાં ભરીને અમે હવે જઈ રહ્યાં હતા...થિમ્ફુની કલાની દુનિયામાં.

ફરી મળીશું અહીં જ... થિમ્ફુના National Institute for Zorig Chusumમાં...